શનિવાર એટલે હનુમાનજીનો વાર અને સાથે શનિદેવનો પણ. કહેવામાં આવે છે કે હનુમાનજી તેમના ભક્તોની મનોકામના બહુ જ જલદી પુરી કરે છે. જો હનુમાનજી પ્રસન્ન થઈ જાય તો તેમના ભક્તોને માંગે એ આપે છે. એટલા માટે તેમની ભક્તિ લોકો કરતા હોય છે. એમાં પણ જો તમે શનિવારે કેટલાક ઉપાયો અજમાવશો તો હનુમાનજીની સાથે સાથે શનિદેવને પણ પ્રસન્ન કરી શકો છો. શનિવારે ન્યાયના દેવતા શનિદેવની પૂજા કરવામાં આવે છે. આ દિવસે શનિદેવને પ્રસન્ન કરવા માટે ઘણા ઉપાયો કરવામાં આવે છે. જેમના પર શનિદેવ પ્રસન્ન હોય છે તેમને ક્યારેય પોતાના કામમાં કોઈ અવરોધનો સામનો કરવો પડતો નથી. શનિવારે ફક્ત શનિદેવની પૂજા જ નહીં, પણ હનુમાનજીની પૂજા પણ ખૂબ જ શુભ માનવામાં આવે છે.
આટલું કરવાથી હનુમાનજી થશે પ્રસન્ન
શનિવારે સવારે તાંબાના વાસણ જળ અને સિંદૂર મિક્સ કરીને ભગવાન હનુમાનને અર્પણ કરો. સાથે તેમને ગોળ, ચણા અને કેળા અર્પિત કરો. હનુમાનજીની સામે સરસવના તેલનો દીવો કરો. અને શ્રી હનુમંતે નમઃનો જાપ કરો. સાથે જ હનુમાન ચાલીસા પાઠ કરો. શનિવારે હનુમાનજીના મંદિરમાં જઈને સુંદરકાંડનો પાઠ કરવાથી પણ ભગવાન હનુમાન અને શનિદેવ બંનેની કૃપા મળે છે.જો તમારું કોઈ કામ લાંબા સમયથી અટવાયેલું હોય, તો દર શનિવારે સાંજે હનુમાનજીના મંદિરમાં જાઓ અને બજરંગબલીને ચમેલીના તેલ અને સિંદૂરથી અભિષેક કરો. ટૂંક સમયમાં તમારા બાકી રહેલા કામ પૂર્ણ થશે.
આવી રીતે પ્રસન્ન થશે શનિદેવ
શનિવારે, શનિ મંદિરમાં જાઓ અને તેમને આંકડાનું ફૂલ અર્પણ કરો. શનિદેવને આંકડા ફૂલ ખૂબ જ પ્રિય છે. માન્યતા અનુસાર, શનિવારે શનિદેવને આ ફૂલ ચઢાવવાથી શનિની ઢૈયા અને સાડાસાતીથી રાહત મળે છે. આ ફૂલો ચઢાવવાથી શનિદેવનો આશીર્વાદ મળે છે અને બગડેલા બધા કામ પણ પૂર્ણ થવા લાગે છે. શનિવારે શનિદેવને તેમની મનપસંદ વસ્તુઓ અર્પણ કરવી શુભ માનવામાં આવે છે.શનિદેવની પૂજા સમયે એટલું ધ્યાન રાખવાનું કે તેમની સામે દીવો ન પ્રગટાવવો જોઈએ. તેના બદલે કોઈ પીપળાના વૃક્ષની નીચે દીવો પ્રગટાવવો જોઈએ.





















