Sonam Wangchuk Medanta Hospital: લદ્દાખના સામાજિક કાર્યકર અને પર્યાવરણવાદી સોનમ વાંગચુકના સ્વાસ્થ્યને લઈને ચાલી રહેલી કાનૂની કાર્યવાહી વચ્ચે દિલ્હી હાઈકોર્ટે મહત્વપૂર્ણ નિર્ણય આપ્યો છે. વાંગચુકની તબિયત અંગે ચિંતા વ્યક્ત કરતાં કોર્ટે તેમને તેમની પસંદગીની મેદાંતા હોસ્પિટલમાં ખસેડવાનો આદેશ આપ્યો છે. સાથે જ હોસ્પિટલને નિષ્ણાત ડૉક્ટરોની વિશેષ ટીમ બનાવી તેમની સારવાર અને સતત દેખરેખ રાખવાનો નિર્દેશ પણ આપવામાં આવ્યો છે. સોનમ વાંગચુક લાંબા સમયથી ઉપવાસ પર હોવાથી તેમના સ્વાસ્થ્યને લઈને ચિંતા વધી રહી છે. આ મુદ્દે સરકાર અને વાંગચુકના વકીલો વચ્ચે પણ અનેક દલીલો થઈ હતી. તમામ પક્ષોની રજૂઆતો અને મેડિકલ રિપોર્ટના આધારે હાઈકોર્ટે સ્પષ્ટ કર્યું કે, હાલ વાંગચુકની સતત મેડિકલ મોનિટરિંગ અત્યંત જરૂરી છે અને તેમની સારવાર માટે યોગ્ય વ્યવસ્થા સુનિશ્ચિત કરવી જરૂરી છે.
મેદાંતા હોસ્પિટલમાં સારવારનો માર્ગ મોકળો
મુખ્ય ન્યાયાધીશ દેવેન્દ્ર કુમાર ઉપાધ્યાય અને ન્યાયમૂર્તિ તેજસ કારિયાની ખંડપીઠે સુનાવણી દરમિયાન મેદાંતા હોસ્પિટલને સોનમ વાંગચુક માટે નિષ્ણાત ડૉક્ટરોનું પેનલ બનાવવાનો આદેશ આપ્યો હતો. કોર્ટે એ પણ કહ્યું કે, અત્યાર સુધીના તમામ મેડિકલ રિપોર્ટ અને સારવાર સંબંધિત દસ્તાવેજો આ ડૉક્ટરોની ટીમને ઉપલબ્ધ કરાવવામાં આવે, જેથી તેમની તબિયતનું યોગ્ય મૂલ્યાંકન કરીને સારવાર ચાલુ રાખી શકાય.
કેન્દ્ર સરકારે હોસ્પિટલ બદલવા સામે વાંધો ન ઉઠાવ્યો
સુનાવણી દરમિયાન કેન્દ્ર સરકાર તરફથી હાજર સોલિસિટર જનરલે કોર્ટને જણાવ્યું કે વાંગચુકને મેદાંતા હોસ્પિટલમાં ખસેડવા અંગે સરકારને કોઈ વાંધો નથી. જોકે, સરકારે એક મહત્વપૂર્ણ શરત મૂકી હતી કે, સોનમ વાંગચુક ડૉક્ટરોની સલાહ વિરુદ્ધ હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ ન લે. સરકારનું કહેવું હતું કે તેમની તબિયતને ધ્યાનમાં રાખીને કોઈપણ નિર્ણય સંપૂર્ણપણે તબીબી સલાહ મુજબ લેવો જોઈએ.
આ પણ વાંચો: ‘મારી એક જ માંગ, સંસદ સુધી અમારી વાત પહોંચાડો’ : સોનમ વાંગચૂકનો અનિશ્ચિત ઉપવાસ યથાવત, હોસ્પિટલમાંથી સંદેશ
સરકારે સુરક્ષાનો મુદ્દો પણ ઉઠાવ્યો
સોલિસિટર જનરલે કોર્ટમાં દલીલ કરી કે વાંગચુકની આસપાસ રહેલા કેટલાક લોકો તેમને હોસ્પિટલમાંથી બહાર લાવવાનો પ્રયાસ કરી રહ્યા છે, જેના કારણે કાયદો અને વ્યવસ્થા તેમજ તેમની સુરક્ષા બંને માટે જોખમ ઊભું થઈ શકે છે. તેમણે કહ્યું કે, વાંગચુકને પોતાની પસંદગીની હોસ્પિટલ અને ડૉક્ટર પસંદ કરવાનો અધિકાર છે, પરંતુ તેમની તબિયતને જોખમમાં મૂકે તેવા કોઈ પગલાં લેવાં જોઈએ નહીં. જો તેઓ ફરી પ્રદર્શન સ્થળે પરત જશે અને તેમની તબિયત વધુ બગડશે તો તેની જવાબદારી કોણ લેશે તે પણ સરકારે કોર્ટ સમક્ષ પ્રશ્નરૂપે રજૂ કર્યું.
ડૉક્ટરોની સલાહને હાઈકોર્ટે આપ્યું મહત્વ
સુનાવણી દરમિયાન હાઈકોર્ટે તમામ મેડિકલ રિપોર્ટ અને ડૉક્ટરોના અભિપ્રાયોનું પણ પરીક્ષણ કર્યું હતું. કોર્ટના જણાવ્યા મુજબ, મોટાભાગના ડૉક્ટરોનું માનવું છે કે સોનમ વાંગચુકની તબિયત પર સતત નજર રાખવી અત્યંત જરૂરી છે. કેટલાક નિષ્ણાતોનું માનવું હતું કે, મેડિકલ મોનિટરિંગ હોસ્પિટલ બહાર પણ થઈ શકે છે, જ્યારે ડૉ. ટંડને અલગ અભિપ્રાય આપતાં જણાવ્યું હતું કે વાંગચુકને હોસ્પિટલમાં જ રાખવા જોઈએ જેથી કોઈપણ તાત્કાલિક પરિસ્થિતિમાં તરત સારવાર મળી શકે.
હવે વિગતવાર આદેશ જાહેર કરશે હાઈકોર્ટ
હાઈકોર્ટે પ્રાથમિક રીતે મેદાંતા હોસ્પિટલમાં ખસેડવાનો આદેશ આપ્યા બાદ જણાવ્યું કે, સમગ્ર મામલે વિગતવાર લેખિત આદેશ બાદમાં જાહેર કરવામાં આવશે. આ નિર્ણય બાદ હવે સોનમ વાંગચુકની સારવાર મેદાંતા હોસ્પિટલમાં નિષ્ણાત ડૉક્ટરોની દેખરેખ હેઠળ થશે. સાથે જ આગામી દિવસોમાં તેમની તબિયત અંગે મેડિકલ ટીમ દ્વારા નિયમિત મૂલ્યાંકન કરવામાં આવશે.






