Chardham Yatra 2026: ઉત્તરાખંડની ચારધામ યાત્રા માટે અત્યાર સુધીમાં લાખો શ્રદ્ધાળુઓ નોંધણી કરાવી ચૂક્યા છે. શુક્રવાર, 17 એપ્રિલથી યાત્રા માટે ઓફલાઇન નોંધણી શરૂ થઈ ગઈ છે. ઓફલાઇન પ્રક્રિયા શરૂ થયાના પ્રથમ દિવસે જ 2,713 રજીસ્ટ્રેશન થયા હતા. શ્રદ્ધાળુઓ હરિદ્વાર, ઋષિકેશ, હરબર્ટપુર અને નયા ગામ ખાતે ઓફલાઇન નોંધણી કરાવી શકે છે. પ્રથમ દિવસે હરિદ્વારમાં 1,043 અને ઋષિકેશમાં 1,670 શ્રદ્ધાળુઓએ નોંધણી કરાવી હતી.
યાત્રાનો પ્રારંભ 19 એપ્રિલથી થઈ રહ્યો છે. અત્યાર સુધીમાં ઓનલાઇન અને ઓફલાઇન મળીને કુલ 18.41 લાખ રજીસ્ટ્રેશન થઈ ચૂક્યા છે. નોંધનીય છે કે ઓનલાઇન નોંધણી 6 માર્ચથી જ શરૂ કરી દેવામાં આવી હતી. જે લોકો ઓનલાઇન રજીસ્ટ્રેશન નથી કરાવી શકતા, તેઓ ઓફલાઇન સેવાનો લાભ લઈ શકે છે.
આ પણ વાંચો: પ્રમોશન અટકી ગયું છે? : ઊંટની મૂર્તિ ખોલશે સફળતાનો માર્ગ, જાણો વાસ્તુના નિયમો અને અદ્ભુત લાભો
ક્યારે ખુલશે ચારધામ યાત્રાના કપાટ?
ચારધામ યાત્રા માટે મંદિરોના કપાટ ખુલવાની વિગતો નીચે મુજબ છે.
યમનોત્રી અને ગંગોત્રી ધામ: 19 એપ્રિલ 2026, રવિવાર (અક્ષય તૃતીયાના દિવસે).
કેદારનાથ ધામ: 22 એપ્રિલ 2026, બુધવાર.
બદ્રીનાથ ધામ: 23 એપ્રિલ 2026, ગુરુવાર.
23 એપ્રિલ સુધીમાં તમામ ચારેય ધામના કપાટ શ્રદ્ધાળુઓ માટે ખુલી જશે. યાદ રાખો કે ચારધામ યાત્રા માટે નોંધણી કરાવવી ફરજિયાત છે, રજીસ્ટ્રેશન વગર યાત્રા કરી શકાશે નહીં.
ઓનલાઇન રજીસ્ટ્રેશન કેવી રીતે કરવું?
જો તમે ઘરે બેઠા ઓનલાઇન નોંધણી કરવા માંગતા હોવ, તો આ સ્ટેપ્સ ફોલો કરો..
1. સૌ પ્રથમ uttarakhandtourism.gov.in વેબસાઇટ પર જાઓ.
2. તમારો મોબાઈલ નંબર નાખીને નવું એકાઉન્ટ બનાવો.
3. OTP વેરિફિકેશન કર્યા પછી લોગિન કરો અને 'મેનેજ ટૂર' (Manage Tour) પર ક્લિક કરો.
4. તમારી યાત્રાની તારીખ અને કયા ધામની યાત્રા કરવી છે તે પસંદ કરો.
5. તમારી તમામ વિગતો ભરો અને ફોટો અપલોડ કરીને ફોર્મ સબમિટ કરો.
6. પ્રક્રિયા પૂર્ણ થયા બાદ તમને QR કોડ અને પાસ મળશે, જેની પ્રિન્ટ કરાવી લેવી અથવા ફોનમાં સાચવી લેવી.





