Home Tech/Gadgets Bsnl Satellite Phone Price Permission Features Gujarati

જંગલ, પહાડ અને દરિયામાં પણ નહીં તૂટે સંપર્ક! : BSNLએ લોન્ચ કર્યો ખાસ સેટેલાઇટ ફોન, જાણો કિંમત અને નિયમો

BSNL Satellite Phone
Published by: Suman Dabhi
Last Updated: Jul 13, 2026, 04:53 AM IST

BSNL Satellite Phone: સરકારી ટેલિકોમ કંપની BSNLએ દેશમાં એક ખાસ સેટેલાઇટ ફોન રજૂ કર્યો છે, જે સામાન્ય મોબાઇલ નેટવર્ક વગર પણ સીધો સેટેલાઇટ સાથે જોડાઈને કોલિંગ અને મેસેજિંગ કરી શકે છે. આ ટેક્નોલોજી ખાસ કરીને એવા વિસ્તારો માટે ઉપયોગી માનવામાં આવે છે જ્યાં મોબાઇલ ટાવર ઉપલબ્ધ નથી અથવા કુદરતી આપત્તિના કારણે નેટવર્ક સંપૂર્ણપણે ઠપ થઈ જાય છે. BSNLના આ સેટેલાઇટ ફોનને લઈને લોકોમાં અનેક પ્રશ્નો ઊભા થયા છે. શું સામાન્ય નાગરિક તેને ખરીદી શકે? તેની કિંમત કેટલી છે? અને તે ક્યાંથી મળશે? અહીં જાણો તમામ મહત્વની માહિતી.

શું કોઈપણ વ્યક્તિ આ ફોન ખરીદી શકે?

ના. BSNLનો આ સેટેલાઇટ ફોન દરેક સામાન્ય ગ્રાહક માટે ખુલ્લો નથી. તેને ખરીદવા અને ઉપયોગમાં લેવા માટે ભારત સરકારના દૂરસંચાર વિભાગ (DoT) તરફથી ખાસ મંજૂરી (પરમિશન) લેવી જરૂરી છે.

રાષ્ટ્રીય સુરક્ષા અને ટેક્નિકલ કારણોસર આ ફોનનો ઉપયોગ સામાન્ય રીતે સરકારી વિભાગો, સશસ્ત્ર દળો, આપત્તિ વ્યવસ્થાપન ટીમો, દરિયાઈ જહાજો અને દૂરના પહાડી વિસ્તારોમાં કાર્યરત સંસ્થાઓ માટે કરવામાં આવે છે.

કેટલી છે કિંમત?

BSNLના આ સેટેલાઇટ ફોનની કુલ કિંમત ટેક્સ સહિત ₹1,34,166 રાખવામાં આવી છે. એટલે કે તેની કિંમત અંદાજે દોઢ લાખ રૂપિયા જેટલી થાય છે.

ફોન ખરીદવા ઉપરાંત કોલિંગ અને મેસેજિંગ માટે અલગ સર્વિસ પ્લાન પણ લેવા પડે છે, જે સામાન્ય મોબાઇલ રિચાર્જ કરતાં વધુ ખર્ચાળ હોય છે. તેનું કારણ એ છે કે આ ફોન સીધો પૃથ્વીની પરિક્રમા કરતા સેટેલાઇટ્સ સાથે જોડાય છે.

ક્યાંથી ખરીદી શકાય?

આ ફોન તમને સામાન્ય મોબાઇલ શોપ, ઓનલાઈન શોપિંગ પ્લેટફોર્મ અથવા ઈ-કોમર્સ વેબસાઇટ પરથી મળશે નહીં.

જો કોઈ સંસ્થા અથવા અધિકૃત વ્યક્તિ આ ફોન ખરીદવા ઈચ્છે છે, તો તેને સીધા BSNLના જિલ્લા અથવા મુખ્ય કાર્યાલયનો સંપર્ક કરવો પડશે. જરૂરી પરવાનગી મળ્યા બાદ જ ખરીદીની પ્રક્રિયા પૂર્ણ થઈ શકે છે.

નેટવર્ક વગર કેવી રીતે કામ કરે છે?

સામાન્ય મોબાઇલ ફોન નજીકના મોબાઇલ ટાવર દ્વારા સિગ્નલ મેળવે છે, જ્યારે સેટેલાઇટ ફોનમાં ખાસ પ્રકારનું એન્ટેના હોય છે જે સીધું અવકાશમાં રહેલા સેટેલાઇટ સાથે જોડાય છે.

આ કારણે જ્યાં મોબાઇલ ટાવર નથી, જેમ કે જંગલો, પહાડો, સમુદ્ર અથવા આપત્તિગ્રસ્ત વિસ્તારોમાં પણ આ ફોન દ્વારા કોલ અને મેસેજ કરી શકાય છે.

ભૂકંપ, પૂર, વાવાઝોડું અથવા અન્ય કુદરતી આપત્તિ દરમિયાન જો મોબાઇલ ટાવર બંધ થઈ જાય તો પણ સેટેલાઇટ ફોન દ્વારા સંપર્ક જાળવી રાખવો શક્ય બને છે.

આ પણ વાંચો: વોટરપ્રૂફ ફોન છે તો પણ આ ભૂલ ન કરો! : ચોમાસામાં તમારી નાની બેદરકારી પણ સ્માર્ટફોનને પહોંચાડી શકે છે મોટું નુકસાન

કેમ મહત્વપૂર્ણ છે આ ટેક્નોલોજી?

ભારત જેવા વિશાળ દેશમાં અનેક દૂરના વિસ્તારો હજુ પણ મોબાઇલ નેટવર્કની સમસ્યાનો સામનો કરે છે. આવી સ્થિતિમાં સેટેલાઇટ ફોન સુરક્ષા દળો, બચાવ કામગીરી અને આપત્તિ વ્યવસ્થાપન માટે મહત્વપૂર્ણ સાધન બની શકે છે.

સાથે જ, આવી ટેક્નોલોજી ઈમરજન્સી પરિસ્થિતિમાં ઝડપી સંચાર સુનિશ્ચિત કરવામાં પણ મહત્વની ભૂમિકા ભજવી શકે છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now