ઉત્તર પ્રદેશના બિજનૌર જિલ્લાના એક ગામમાં શ્રદ્ધા અને આશ્ચર્યનો અનોખો સંગમ જોવા મળી રહ્યો છે. રવિવાર 11 જાન્યુઆરી 2026 થી એક શ્વાન સતત હનુમાનજીની પ્રતિમાની આસપાસ ચક્કર લગાવી રહ્યો છે. આ અસાધારણ ઘટનાનો Video હાલ Social Media પર વાયરલ થતા લોકોમાં કુતૂહલ જોવા મળી રહ્યું છે. આ દ્રશ્ય નિહાળવા માટે મંદિરના પટાંગણમાં ગ્રામજનોની ભારે ભીડ એકઠી થઈ રહી છે અને લોકો આ ઘટનાને પોતાની આંખે જોઈને કેમેરામાં કેદ કરી રહ્યા છે.
અન્ન અને જળનો ત્યાગ કરીને અવિરત ભક્તિ
બિજનૌરના નગીના તહેસીલ સ્થિત એક પ્રાચીન હનુમાન મંદિરમાં આ ઘટના બની છે. સ્થાનિક રહીશોના જણાવ્યા મુજબ આ શ્વાન છેલ્લા 72 કલાકથી વધુ સમયથી મૂર્તિની પરિક્રમા કરી રહ્યો છે. આશ્ચર્યની વાત એ છે કે આટલા લાંબા સમયની પરિક્રમા દરમિયાન આ શ્વાને કશું જ ખાધું કે પીધું નથી. ગ્રામજનો આ ઘટનાને દૈવી ચમત્કાર માની રહ્યા છે અને ઘણા લોકો તેને ભૈરવ બાબાનો અવતાર માનીને પૂજા કરી રહ્યા છે.
માત્ર હનુમાનજી જ નહીં પરંતુ તમામ દેવી દેવતાઓની પ્રદક્ષિણા
વાયરલ થયેલા Video માં સ્પષ્ટ જોઈ શકાય છે કે આ શ્વાન એકધારો મૂર્તિની આસપાસ ફરી રહ્યો છે. લોકોએ જણાવ્યું કે તે ક્યારેક થોડો સમય વિરામ લે છે પરંતુ પછી ફરીથી પરિક્રમા શરૂ કરી દે છે. આ શ્વાન માત્ર હનુમાનજીની મૂર્તિ જ નહીં પરંતુ મંદિરમાં બિરાજમાન અન્ય તમામ દેવી દેવતાઓની પ્રતિમાઓની પણ પ્રદક્ષિણા કરી રહ્યો છે. અત્યંત ઠંડીના કારણે સ્થાનિકોએ આ શ્વાનને બચાવવા માટે મંદિરના ભાગને પ્લાસ્ટિકના પિલીથીનથી ઢાંકી દીધો છે જેથી તે ઠંડી સામે રક્ષણ મેળવી શકે.
તબીબોની તપાસમાં શારીરિક સ્થિતિ સામાન્ય
આ અજીબોગરીબ વ્યવહારને જોતા પશુ ચિકિત્સકોની એક ટીમે પણ સ્થળની મુલાકાત લીધી હતી. ડોક્ટરોના જણાવ્યા અનુસાર પ્રાથમિક દ્રષ્ટિએ આ શ્વાનની માનસિક અને શારીરિક સ્થિતિ બિલકુલ સામાન્ય જણાય છે. તબીબી તપાસ બાદ પણ શ્વાનના આ વર્તન પાછળનું કોઈ ચોક્કસ કારણ મળી શક્યું નથી જેને પગલે લોકોની આસ્થા વધુ મજબૂત બની છે. ભલે વિજ્ઞાન આને સામાન્ય ગણાવતું હોય પરંતુ શ્રદ્ધાળુઓ માટે આ એક પરમ શક્તિનો ચમત્કાર છે જે જોવા માટે દૂર દૂરથી લોકો ઉમટી રહ્યા છે.





















