Bhavnagar News: ભાવનગર જિલ્લામાં ઔદ્યોગિક તાલીમને રોજગારી સાથે સીધી રીતે જોડવાના પ્રયાસોને નોંધપાત્ર સફળતા મળી રહી છે. જિલ્લાની 11 સરકારી ઔદ્યોગિક તાલીમ સંસ્થાઓ (ITI)માં વિવિધ ટેકનિકલ ટ્રેડમાં તાલીમ મેળવી રહેલા યુવાઓને રોજગારીની વધુ તકો ઉપલબ્ધ કરાવવા માટે વર્ષ 2025-26 દરમિયાન 16 ભરતી મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ભરતી મેળાઓ દ્વારા કુલ 343 ઉમેદવારોને વિવિધ કંપનીઓમાં રોજગારી મળી છે, જ્યારે 763 ઉમેદવારોની વિવિધ ઉદ્યોગોમાં એપ્રેન્ટિસશિપ યોજના હેઠળ પસંદગી કરવામાં આવી છે.
આંકડાઓ દર્શાવે છે કે ITIમાં તાલીમ લીધેલા યુવાઓને માત્ર કૌશલ્ય પૂરતું જ નહીં પરંતુ રોજગાર મેળવવા માટે પણ યોગ્ય પ્લેટફોર્મ મળી રહ્યું છે. રાજ્ય સરકારની કૌશલ્ય વિકાસ અને રોજગારીલક્ષી પહેલના ભાગરૂપે યોજાયેલા ભરતી મેળાઓથી સ્થાનિક યુવાનોને મોટી સંખ્યામાં લાભ મળ્યો છે.
ભાવનગરની નોડલ ITIમાં વિવિધ ટ્રેડમાં તાલીમ
ભાવનગર જિલ્લાની નોડલ ITIમાં હાલમાં કોમ્પ્યુટર, મિકેનિકલ, સિવિલ, ઓટોમોબાઇલ, ઇલેક્ટ્રિકલ, ઇન્ફોર્મેશન ટેક્નોલોજી (IT) તેમજ ફેબ્રિકેશન સહિતના વિવિધ ટ્રેડમાં તાલીમ આપવામાં આવી રહી છે. ઉદ્યોગોની જરૂરિયાતને ધ્યાનમાં રાખીને તાલીમનું આયોજન કરવામાં આવે છે, જેથી તાલીમ પૂર્ણ થયા બાદ ઉમેદવારોને સીધી રોજગારી અથવા એપ્રેન્ટિસશિપ મેળવવામાં સરળતા રહે.
ટેક્નિકલ શિક્ષણ સાથે પ્રાયોગિક તાલીમ પર પણ ભાર મૂકવામાં આવે છે, જેના કારણે વિદ્યાર્થીઓ ઉદ્યોગોની વાસ્તવિક જરૂરિયાતોને અનુરૂપ કૌશલ્ય વિકસાવી શકે છે. આ મોડલને કારણે રોજગારી મેળવનાર ઉમેદવારોની સંખ્યામાં પણ સતત વધારો થઈ રહ્યો છે.
આ પણ વાંચો: ચોમાસા માટે રાજ્યની તમામ સ્કૂલો માટે એલર્ટ : સરકારે જાહેર કરી નવી સેફ્ટી ગાઈડલાઈન
અગ્રણી કંપનીઓએ ભરતીમાં લીધો ભાગ
વર્ષ 2025-26 દરમિયાન યોજાયેલા 16 ભરતી મેળાઓમાં ગુજરાત અને દેશની અનેક જાણીતી કંપનીઓએ ભાગ લીધો હતો. તેમાં મારુતિ સુઝુકી, એલ એન્ડ ટી (L&T), ગ્લોબલ CNC, રિલાયન્સ સોલાર, ઝાયડસ ગ્રુપ, નેસ્લે, હીરો મોટોકોર્પ, નીરમા, સ્ટીલ કાસ્ટ, સુમિતોમો, એગ્રોસેલ, પાર ડ્રગ્સ, કેપકો, આઇ ટેક પ્લાસ્ટ, કેરીસિલ, મધુસિલિકા ગ્રુપ સહિતની અનેક કંપનીઓનો સમાવેશ થાય છે.
આ ઉપરાંત વિવિધ સરકારી અને જાહેર ક્ષેત્રની સંસ્થાઓ તથા નિગમો જેમ કે ગુજરાત મેરીટાઈમ બોર્ડ (GMB), ભાવનગર મ્યુનિસિપલ કોર્પોરેશન (BMC), સિંચાઈ વિભાગ અને GMDCએ પણ ભરતી પ્રક્રિયામાં ભાગ લીધો હતો. વિવિધ ક્ષેત્રોની કંપનીઓ જોડાતા ઉમેદવારોને તેમની લાયકાત અને રસ અનુસાર કારકિર્દીની પસંદગી કરવાની વધુ તક મળી હતી.
આ પણ વાંચો: વડોદરામાં વ્યસ્ત રસ્તા પર ફિલ્મી સ્ટાઈલમાં ફાયરિંગ : વાઘોડિયા ચોકડીમાં યુવકને ગોળી મારી હુમલાખોરો ફરાર
343ને રોજગારી, 763ને એપ્રેન્ટિસશિપ
ભરતી મેળાઓ દરમિયાન ITIમાંથી તાલીમ પૂર્ણ કરનારા કુલ 343 ઉમેદવારોને વિવિધ કંપનીઓમાં સીધી નોકરી મળી છે. ઉપરાંત 763 ઉમેદવારોની એપ્રેન્ટિસશિપ યોજના હેઠળ પસંદગી કરવામાં આવી છે, જ્યાં તેઓ ઉદ્યોગોમાં પ્રાયોગિક અનુભવ મેળવી શકશે.
એપ્રેન્ટિસશિપ યોજના હેઠળ ઉમેદવારોને અનુભવી નિષ્ણાતો સાથે કામ કરવાની તક મળે છે, જે તેમના કૌશલ્યમાં વધારો કરે છે અને ભવિષ્યમાં કાયમી રોજગારી મેળવવાની સંભાવના વધુ મજબૂત બનાવે છે. ઉદ્યોગો માટે પણ તાલીમબદ્ધ અને કુશળ માનવબળ ઉપલબ્ધ થતું હોવાથી આ યોજના બંને માટે લાભદાયી બની રહી છે.
આ પણ વાંચો: ઘર તૂટ્યાં પછી હવે મળી રાહત! : હાઈકોર્ટની ફટકાર બાદ નાસિરનગરના અસરગ્રસ્ત પરિવારો માટે SMCનો મોટો નિર્ણય
કૌશલ્ય વિકાસથી રોજગારીને મળી નવી દિશા
આજના સ્પર્ધાત્મક સમયમાં માત્ર શૈક્ષણિક લાયકાત પૂરતી નથી, પરંતુ ઉદ્યોગોને અનુરૂપ ટેકનિકલ કૌશલ્ય પણ એટલું જ જરૂરી બની ગયું છે. ITI દ્વારા આપવામાં આવતી તાલીમ અને ભરતી મેળાઓ જેવી પહેલના કારણે વિદ્યાર્થીઓને અભ્યાસ પૂર્ણ થતાં જ રોજગારીની તક મળી રહી છે.
ભાવનગર જિલ્લામાં યોજાયેલા ભરતી મેળાઓના પરિણામો દર્શાવે છે કે સરકાર, તાલીમ સંસ્થાઓ અને ઉદ્યોગો વચ્ચેનું સંકલન મજબૂત બન્યું છે. આવનારા સમયમાં પણ આવા ભરતી મેળાઓ અને એપ્રેન્ટિસશિપ કાર્યક્રમો દ્વારા વધુને વધુ યુવાનોને રોજગારી સાથે જોડવાનો પ્રયાસ કરવામાં આવશે તેવી અપેક્ષા વ્યક્ત કરવામાં આવી રહી છે






