મથુરા: ભગવાન શ્રીકૃષ્ણની નગરી મથુરા અને વૃંદાવનમાં હોળીના પર્વનો પ્રારંભ થઈ ચૂક્યો છે. 25 ફેબ્રુઆરીના રોજ લાડુમાર હોળીના જલસા બાદ હવે 26 ફેબ્રુઆરીના રોજ બરસાનામાં વિશ્વવિખ્યાત 'લઠ્ઠમાર હોળી' રમાશે. બરસાનાની હોળી માત્ર રંગોનો તહેવાર નથી, પરંતુ તે સદીઓ જૂની પરંપરા અને રાધા-કૃષ્ણના નિર્મળ પ્રેમની અભિવ્યક્તિ છે. અહીંની 'રંગીલી ગલી'ઓમાં જ્યારે ગોપીઓ લાઠીઓ લઈને નીકળે છે અને નંદગામના ગોવાળો ઢાલ લઈને પોતાનો બચાવ કરે છે, ત્યારે તે દ્રશ્ય જોવા દેશ-વિદેશથી હજારો શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. પણ શું તમે જાણો છો કે આ પરંપરાની શરૂઆત કઈ રીતે થઈ હતી?
બ્રજની હોળી તેના અનોખા અંદાજ માટે દુનિયાભરમાં જાણીતી છે. ધુળેટીના એક અઠવાડિયા પહેલા જ અહીં ઉત્સવ શરૂ થઈ જાય છે. બરસાનાની લઠ્ઠમાર હોળી ભક્તિ, મસ્તી અને પરંપરાનું એવું સંગમ છે કે જેનો અનુભવ કરવા માટે વિદેશી પ્રવાસીઓ પણ ખાસ ભારત આવે છે. આ હોળી પાછળની પૌરાણિક કથા અત્યંત રસપ્રદ છે.
કઈ રીતે થઈ લઠ્ઠમાર હોળીની શરૂઆત?
પૌરાણિક માન્યતાઓ અનુસાર, લઠ્ઠમાર હોળીની પરંપરા દ્વાપર યુગથી ચાલી આવે છે. ભગવાન શ્રીકૃષ્ણ તેમના ગોવાળ મિત્રો સાથે નંદગામથી બરસાના આવતા હતા. અહીં તેઓ રાધા રાણી અને તેમની સખીઓ પર છુપાઈને રંગ નાખતા અને તેમની સાથે મજાક-મસ્તી કરતા હતા.
ભગવાન કૃષ્ણ અને તેમના મિત્રો રાધાજી અને ગોપીઓને ખૂબ જ પરેશાન કરતા હતા, જેનાથી ગોપીઓ ક્યારેક નારાજ પણ થઈ જતી. એકવાર જ્યારે કાન્હા અને તેના મિત્રોએ રંગ નાખવાનું બંધ ન કર્યું, ત્યારે રાધા રાણી અને તેમની સખીઓએ લાકડીઓ (લઠ્ઠ) લઈને તેમને ભગાડવાનું શરૂ કર્યું. કૃષ્ણ અને તેમના ગોવાળો આ પ્રેમભરી મારથી બચવા માટે ઢાલનો ઉપયોગ કરતા અને આમ-તેમ ભાગતા હતા. બસ, ત્યારથી જ આ 'લઠ્ઠમાર હોળી'ની પરંપરા શરૂ થઈ, જે આજે પણ તેટલા જ ઉત્સાહથી ઉજવાય છે.

દુનિયાભરમાં કેમ પ્રસિદ્ધ છે બરસાનાની હોળી?
બરસાનાની હોળી દુનિયાભરમાં પોતાની અનોખી પરંપરા અને આધ્યાત્મિક ભાવનાને કારણે પ્રસિદ્ધ છે, જેનું મુખ્ય કેન્દ્ર અહીંની ઐતિહાસિક 'રંગીલી ગલી' છે. આ સ્થળને રાધા-કૃષ્ણના અમર પ્રેમનું જીવંત પ્રતીક માનવામાં આવે છે, જ્યાં હોળીના દિવસે એક અદ્ભુત 'ટ્રેડિશનલ કોમ્પિટિશન' જોવા મળે છે. લઠ્ઠમાર હોળીના દિવસે નંદગામના પુરુષો (ગોવાળો) અને બરસાનાની મહિલાઓ (ગોપીઓ) વચ્ચે લાઠી ચલાવવાની એક મૈત્રીપૂર્ણ સ્પર્ધા યોજાય છે, જેમાં પુરુષો ઢાલ વડે પોતાનો બચાવ કરે છે અને સ્ત્રીઓ લાઠીઓ વરસાવે છે.
બ્રજ પ્રદેશમાં હોળીનું આધ્યાત્મિક મહત્વ એટલું છે કે અહીં ઉત્સવ માત્ર અબીલ-ગુલાલ સુધી મર્યાદિત નથી, પરંતુ તે ધુળેટીના એક સપ્તાહ પહેલાથી જ એક ભવ્ય મહોત્સવ તરીકે શરૂ થઈ જાય છે. આ પરંપરામાં લઠ્ઠમાર હોળીના બરોબર એક દિવસ પહેલા શ્રીજી મંદિરમાં 'લાડુમાર હોળી' રમાય છે. આ દિવસે ભક્તો પર પ્રસાદ તરીકે લાડુ ફેંકવામાં આવે છે, જેનો આનંદ માણવા અને આશીર્વાદ લેવા માટે દેશ-વિદેશથી હજારો શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે.
2026 ના ખાસ આયોજનો
આ વર્ષે 26 ફેબ્રુઆરીએ બરસાનામાં લઠ્ઠમાર હોળીનું આયોજન છે. સુરક્ષા અને ભક્તોની ભીડને ધ્યાનમાં રાખીને વહીવટીતંત્ર દ્વારા ખાસ તૈયારીઓ કરવામાં આવી છે. હજારોની સંખ્યામાં ભક્તો રંગો અને લાઠીઓના આ અનોખા સંગમને જોવા માટે પહોંચી રહ્યા છે.



















