વર્તમાન સમયની ભાગદોડભરી જીવનશૈલીમાં વ્યક્તિ જ્યારે પારિવારિક વિખવાદ, અપેક્ષાઓ પર ખરા ન ઉતરવું અથવા પ્રતિકૂળ સંજોગોનો સામનો કરે છે, ત્યારે સૌથી પહેલા તેની માનસિક એકાગ્રતા ખોરવાય છે. મનમાં સતત ચાલતા નકારાત્મક વિચારો વ્યક્તિની કાર્યક્ષમતાને ઘટાડી દે છે. મનોવિજ્ઞાન ચોક્કસપણે વ્યક્તિના વ્યક્તિત્વનું વિશ્લેષણ કરે છે, પરંતુ જ્યોતિષ શાસ્ત્રમાં ગ્રહોની ચાલ અને ખાસ કરીને કુંડળીમાં રહેલા ચંદ્રની સ્થિતિ દ્વારા મનની ગૂંચવણો ઉકેલવાનો માર્ગ બતાવવામાં આવ્યો છે. જ્યોતિષીય દ્રષ્ટિએ મન પર કાબૂ મેળવવા માટે ગ્રહોનું સંતુલન અનિવાર્ય છે.
જન્મકુંડળીમાં જ્યારે ચંદ્ર નિર્બળ, પીડિત કે નીચની અવસ્થામાં હોય છે, ત્યારે વ્યક્તિ નિર્ણય લેવાની ક્ષમતા ગુમાવી બેસે છે. આવી સ્થિતિમાં નાની મુશ્કેલી પણ પહાડ જેવી લાગે છે અને વ્યક્તિ ત્વરિત વિચલિત થઈ જાય છે. જ્યારે મનમાં નકારાત્મકતાનું પ્રમાણ વધી જાય, ત્યારે વ્યક્તિએ પોતાની રુચિના વિષયોમાં ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ. આ ઉપરાંત જ્યોતિષ શાસ્ત્રમાં અમુક સચોટ ઉપાયો સૂચવવામાં આવ્યા છે, જે મનને મજબૂત બનાવીને પ્રતિકૂળ સંજોગો સામે લડવાની શક્તિ અર્પે છે.
મન અને મનોબળને સશક્ત બનાવવાના પ્રભાવી ઉપાયો
કુંડળીમાં ચંદ્ર નબળો હોવાની સ્થિતિમાં ભગવાન શિવની આરાધના સર્વોપરી ગણાય છે. દર સોમવારે શિવલિંગ પર જળ અને અક્ષત એટલે કે આખા ચોખા અર્પણ કરવાથી માનસિક શાંતિનો અનુભવ થાય છે. આ સિવાય પૂનમની રાત્રિએ ચાંદીના અર્ધચંદ્રાકાર લોકેટમાં મોતી જડાવીને ધારણ કરવાથી તે સુરક્ષા કવચ તરીકે કામ કરે છે, જે માનસિક ડરને દૂર રાખવામાં મદદરૂપ થાય છે.
જે લોકોનું મન અકારણ વ્યથિત રહેતું હોય તેમણે દર પૂર્ણિમાએ વ્રત રાખવું જોઈએ અને સફેદ વસ્તુઓ જેવી કે દૂધ અથવા ખાંડનું દાન કરવું જોઈએ. આ ઉપાયથી પીડિત ચંદ્રને બળ મળે છે. જો કુંડળીમાં ચંદ્ર અને રાહુની યુતિ હોય તો ગ્રહણ યોગ બને છે, તેના નિવારણ માટે દર સોમવારે 2 મોટા પતાસાનું દાન કરવું હિતાવહ છે. જ્યોતિષમાં ચંદ્રને માતાનો કારક માનવામાં આવ્યો છે, તેથી કોઈપણ મહત્વના કાર્યમાં માતાની સલાહ લેવી અને તેમની સેવા કરવાથી માનસિક અવરોધો દૂર થાય છે.



















