જ્યારથી સંગમનગરી પ્રયાગરાજમાં મહા કુંભની (Maha Kumbh 2025) શરૂઆત થઈ છે. ત્યારથી હર્ષા રિછારિયા (Harsha Ricchariya News)સુંદર સાધ્વીના નામે ચર્ચામાં છે. સોશિયલ મીડિયા પર સુંદર તસવીરો અને વીડિયો વાયરલ થયા બાદ લોકો તેમના વિશે જાણવા ઉત્સુક બની રહ્યા છે. હવે હર્ષના માતા-પિતાએ એક ઇન્ટરવ્યૂમાં તેમના જીવનની કેટલીક વાતો શેર કરી. માતાએ 21 વર્ષ પહેલા કુંભ દરમિયાન હર્ષાએ લીધેલી એ કસમ યાદ કરી. હર્ષા રિછારીયા, એક સામાન્ય પરિવારમાંથી આવે છે. તેમણે BBAનો અભ્યાસ અને એન્કરિંગનો કોર્સ પણ કર્યો છે. એક ન્યૂઝ ચેનલને આપેલા ઈન્ટરવ્યૂમાં તેમના પિતા દિનેશ રિછારિયાએ જણાવ્યું કે પહેલા તે બસ કંડક્ટર તરીકે કામ કરતા હતા. ઉજ્જૈન કુંભ 2004 પછી, તેઓ આધ્યાત્મિક્તા તરફ વળ્યા અને હવે તેઓ ભોપાલમાં કાયમી ધોરણે સ્થાયી થયા છે.
કેદારનાથની યાત્રા
હર્ષની માતા કિરણ રિછારિયા ઘરેથી બુટિક ચલાવે છે. ઈન્ટરવ્યૂ દરમિયાન તેમણે કહ્યું કે હર્ષાને નાનપણથી જ ધર્મ અને આધ્યાત્મિક્તા તરફ ઝુકાવ હતો. હર્ષાએ 3 વર્ષ પહેલા કેદારનાથની મુલાકાત દરમિયાન પોતાનું જીવન બદલવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. આ પછી તેણે ઉત્તરાખંડના ઋષિકેશમાં સમય વિતાવવાનું શરૂ કર્યું અને સમાજ સેવા માટે એક NGO પણ બનાવ્યું.
કોની સાથે થશે લગ્ન?
પિતાએ જણાવ્યું કે તેમને હર્ષા માટે બે છોકરા જોયા છે. એક દેહરાદૂનમાં અને બીજો નાસિકમાં. તે જલ્દી જ હર્ષાના લગ્ન નક્કી કરશે. તેમણે લોકોને અપીલ કરી કે હર્ષાને સાધ્વી કહીને ટ્રોલ કરવાનું બંધ કરો કારણ કે તેણે સન્યાસ લીધો નથી પરંતુ માત્ર ગુરુ દીક્ષા લીધી છે.
21 વર્ષ જૂનુ સ્વપ્ન
હર્ષાની માતાએ જણાવ્યું કે, 2004ના કુંભમેળા દરમિયાન પોલીસે હર્ષાને સ્નાન કરતા રોક્યા હતા. ત્યારે હર્ષાએ કહ્યું હતું કે જુઓ મમ્મી, આ મારું સપનું છે, એક દિવસ હું હાથી પર બેસીને કુંભમાં ચોક્કસ જઈશ.
આજે આ સપનું સાકાર થતું જોઈ તેમની માતા ભાવુક થઈ ગઈ. તેમણે એ પણ જણાવ્યું કે હર્ષાને પહેલીવાર સાધ્વી પોશાકમાં જોઈને તેની આંખોમાં આંસુ આવી ગયા.




















